Zen

Zen

Sunday 10 July 2022

જમલુ દેવ સાથે સમ્રાટ અકબરની પૂજા કરતું મલાણા ગામ

 હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં દેવ ટીબ્બા અને ચંદ્રખણી શિખરોની છાયામાં સુશોભિત, પાર્વતિ ખીણ પાસે આવેલું તમામ પર્યટન સ્થળોથી સાવ નોંખું ‘મલાણા’ એક રમણીય અને અનોખું ગામ છે, જે તેની આગવી સંસ્કૃતિ, ધાર્મિક માનયતાઓ અને રૂઢિઓ માટે પ્રખ્યાત છે. મલાણા ગામનું મૂળ રહસ્યમાં ઘેરાયેલું છે, જ્યારે ઉત્પત્તિ ઋષિ જમદગ્નિને આભારી છે. મલાણા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તેના વિષેની દંતકથાઓમાં  કોઈ એકસૂત્રતા જોવા મળતી નથી. પ્રચલિત દંતકથાઓ અનુસાર, દનુ અથવા બાણાસુર નામનો  રાક્ષસ એક સમયે આ વિસ્તાર પર શાસન કરતો હતો. લોકો તેની ક્રૂરતાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, જેમણે મદદ માટે સ્થાનિક દેવતાઓનો સંપર્ક કર્યો. રાક્ષસને નાથવામાં  અસમર્થતા દર્શાવતા, દેવતાઓએ કહ્યું કે માત્ર ઉત્તરની શક્તિ જ તેમને રાક્ષસથી બચાવી શકે તેમ છે. જ્યારે લોકો શક્તિની શોધમાં ઉત્તર તરફ ગયા, ત્યારે તેઓ હમતા (કુલુમાં) ખાતે ઋષિ જમદગ્નિને મળ્યા. જમદગ્નિ ઋષિ ભૃગુવંશી રુચિકના પુત્ર હતા જેમની ગણના  સપ્તઋષિઓમાં થાય છે.પુરાણો અનુસાર, તેમની પત્નીનું નામ રેણુકા અને તેમના પુત્રનું નામ પરશુરામ હતું. જમદગ્નિ ઋષિ લોકોને મદદ કરવા સંમત થયા અને ભયંકર યુદ્ધમાં રાક્ષસને હરાવ્યો. બાણાસુરે ક્ષમા માંગી અને જતાં પહેલાં લોકો તેને  યાદ રાખે તેવી વિનંતી કરી. ત્યારબાદ જમલૂ ઋષિએ તેમને ખાતરી આપી કે જ્યાં સુધી ગામનું  અસ્તિત્વ રહેશે ત્યાં સુધી મલાણાના લોકો તેની “કનાશી’ બોલી  બોલશે. ઋષિએ મલાણા ગામના કાયદા અને નિયમો નક્કી કર્યા જે આજ સુધી અનુસરવામાં આવે છે.

આધ્યાત્મિકતામાં રસ ધરાવતા અને  સાહસ પ્રેમીઓ માટે  આ એક આદર્શ સ્થળ છે કારણ કે ટ્રેકિંગ કરીને મલાણા સુધી જઈ શકાય છે. મલાણા તરફનો ટ્રેકિંગ માર્ગ લીલાછમ દેવદારના વૃક્ષો અને મલાણા ડેમના આછા દૃશ્યથી શોભી ઊઠે છે. અહીંના મંદિરોની વાત કરીએ તો મદગ્નિ મંદિર અને રેણુકા દેવીનું મંદિરને મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. આ બંને મંદિરો એકબીજાની નજીક આવેલા છે. તેમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તેની પોતાની સંસદ છે જે તમામ નિર્ણયો લે છે. અહીંના લોકો પોતે (એલેક્ઝાન્ડર) સિકંદરની સેનાના વંશજો હોવાનું માને છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ જગ્યાએ ભારતીય કાયદો કામ કરતો નથી. તેની પોતાની સંસદ છે જે તમામ નિર્ણયો લે છે. લોકશાહીમાં લોકોની અતૂટ શ્રદ્ધા તેમના જમલુ દેવને કારણે છે. સમગ્ર ગામનો વહીવટ તેમના હેઠળ ચાલે છે અને ગ્રામ્ય પરિષદ તેને અનુસરે છે. કાઉન્સિલના ૧૧ સભ્યો જમ્બલુ દેવના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. અહીં કોઈ બહારની સત્તાની દખલગીરી ચાલતી નથી.

પૂજ્ય આચાર્ય દેવવિમલગણિ, પૂજ્ય જગદગુરુ હિરવિજયસૂરી, પૂજ્ય આચાર્ય પદ્મસાગરગણિ, જેવા પ્રબુદ્ધ જૈનાચાર્યોએ તો અકબરની મહાનતાના ભરપેટ વખાણ કર્યા જ છે પણ અકબરની એક દેવ સાથે પુજા થતી હોય તેવી બાબત જરૂર આશ્ચર્ય પમાડે તેવી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મલાણા ગામમાં ફાગલી ઉત્સવ વખતે ઋષિ જમદગ્નિના કેટલાક પ્રતિકાત્મક અવશેષો અને અકબરની સોનાની મૂર્તિને મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને તમામ ગ્રામજનોની સામે રીતિરિવાજો મુજબ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે તેની પૂજા કરવામાં આવે છે. ઋષિ જમદગ્નિને સ્થાનિક લોકો જમલુ દેવ તરીકે પણ ઓળખે છે.

સમ્રાટ અકબરની પૂજા પાછળની લોકવાયકા એવી છે કે "અકબરના શાસનકાળ દરમિયાન, તેના સૈનિકો કર વસૂલવા માટે મલાણા સુધી જતા હતા, પરંતુ ઋષિ જમદગ્નિના પૂજારીએ કર ભરવાનો ઇનકાર કર્યો. મંદિરના પૂજારી દ્વારા શાસકને કર ચૂકવવો તે અપમાનજનક માનવામાં આવતું હતું. પરંતુ અકબરના સૈનિકોએ બળજબરીથી મંદિરમાંથી સોનાનો સિક્કો લઈને ટેક્સ વસૂલ કર્યો. ઋષિ જમદગ્નિએ કરની બળપૂર્વક વસૂલાત સામે નારાજગી દર્શાવી. મલાણા ગામમાંથી કર તરીકે વસૂલવામાં આવેલ સોનાનો સિક્કો તિજોરીમાં ઉડવા લાગ્યો, એ જોઈ બાદશાહ અકબરના અધિકારીઓને આઘાત લાગ્યો. ત્યારબાદ અકબરે દેવતાની દૈવી શક્તિ પર પ્રશ્ન કર્યો અને જમદગ્નિ જો તેમની પાસે ખરેખર કોઈ દિવ્ય  શક્તિ હોય તો  આગ્રામાં હિમવર્ષા કરવા કહ્યું, બીજા દિવસે જ ચમત્કાર થયો અને રે મુઘલ રાજધાની આગ્રામાં બરફ પડ્યો. અકબર બાદશાહ દેવતાની દૈવી શક્તિઓથી આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા, તેમની ક્ષમા યાચના સાથે આદર અને સન્માનના  પ્રતિક રૂપે, અકબરે મલાણાના જમદગ્નિ દેવની સોનાની મૂર્તિ મોકલી. તે દિવસથી ગામના દેવતા સાથે અકબરની પણ પૂજા કરવામાં આવે છે. બીજી લોકવાયકા એવી છે કે જ્યારે સમ્રાટ અકબર અહીંના  લોકોની પરેશાનીઓ દૂર કરવા આવ્યા હતા તે સમયે એટલે કે મુઘલ શાસનમાં તેમને આઝાદી મળી હતી.  અકબરે એક ફરમાન જારી કરી ગામના લોકોને  ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી હતી, જેથી ગામના લોકો અકબર પ્રત્યે કૃતજ્ઞ ભાવથી અથવા તેણે કરેલ વેરામાફીની પ્રતિભેટ તરીકે અકબરની પૂજા કરે છે.

પર્યટકોએ નિર્ધારિત માર્ગોને વળગી રહેવા અને ત્યાંની કોઈપણ દિવાલો, મકાનો, અન્ય વસ્તુઓ  અથવા લોકોને સ્પર્શ ન કરવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. જો આવું થાય, તો મુલાકાતીઓએ  નિશ્ચિત રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડે છે. મલાણી લોકો પોતાના ઘરમાં પ્રવેશતા પહેલા અથવા જમતા પહેલા નિર્ધારિત શુદ્ધિકરણ વિધિનું પાલન કરે છે. મલાણીઓ ખીણની બહાર ન હોય ત્યાં સુધી,  બિન-મલાણીઓ દ્વારા રાંધવામાં આવેલું ભોજન ક્યારેય સ્વીકારી ન શકે. 

મલાણીઓ મુલાકાતીઓને ભોજન આપી શકે છે પરંતુ તમામ વાસણોનો ફરીથી ઉપયોગ કરતાં પહેલાં તેને આકરી શુદ્ધિકરણની વિધિથી શુદ્ધ કરવામાં આવે છે.