Zen

Zen

Wednesday 29 June 2022

ચૌસઠ કલાઓ :


કલા ભારતીયોની રગેરગમાં વહે છે, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય. ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કલાઓનું  ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ કલાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કલાઓ છે. ભારતીય સાહિત્યમાં ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં કવિઓએ અને નાટ્યકારોએ તેમની રચનાઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે તેટલું જ નહીં, પરંતુ કલાઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે પણ નાટકો, કાવ્યો દ્વારા પ્રજા સમક્ષ મૂક્યું છે. કાલિદાસ, ભાસ, ભાવભૂતિ, બાણ વગેરે સાહિત્યકારોએ તેમના પત્રોને વિવિધ ક્લાઓમાં કૌશલ્ય ધરાવતા બતાવ્યા છે. જુદા જુદા સંગીતના વાદ્યો, ચિત્રકલા જેવી કળાઓ ઉપરાંત કવિ બાણે તો પોતાના પાત્રોને દ્યૂતકલા, રત્નપરીક્ષા તેમજ વાસ્તુકલામાં નિપુણ ચિતર્યા છે.

કલા શબ્દ સાંભળતાં જ આપણને ૬૪ કલાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કલાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કલાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કલાઓનું વર્ણન કરેલ છે. શિવતત્વ રત્નાકર, જૈન ગ્રંથો તથા બૌદ્ધ ગ્રંથો જેવા કે ઉત્તરાધયન સૂત્ર અને લલિત વિસ્તરામાં ૬૪ કળાઓનો ઉલ્લેખ નજરે પડે છે. પુરાણોની વાત કરીએ તો અગ્નિપુરાણ, વાયુપુરાણ, ગરુડપુરાણ, અને કાલિકા પુરાણમાં ૬૪ કલાઓ વિષે એક અથવા  બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવા મળે છે. વામકેશવરત્નતંત્રમાં ૬૪ તંત્રોની યાદી છે જે ખરેખર ૬૪ યોગીનીઓએ પ્રબોધેલ ૬૪ કલાઓ છે તેવું માનવમાં આવે છે. વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કલાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત'  અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં દરેકમાં ૬૪ કલા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી  પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી, ૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા મળીને ૬૪  કલાઓ થાય  છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કલાઓ મળીને  કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં વર્ણવેલ તમામ ૬૪ કલાઓનો ઉલ્લેખ યજુર્વેદના 30મા અધ્યાયમાં મળે છે. આ અધ્યાયમાં કુલ ૨૨ મંત્રો છે, જેમાં  ચોથાથી બાવીસમા મંત્ર સુધી કલા અને કલાકારોનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં રાજાએ જનકલ્યાણાર્થે અને સંપત્તિના વિભાજનાર્થે શું કરવું જોઈએ તે સંદર્ભમાં વિવિધ ક્લાઓનું વર્ણન છે. ત્રીશમા અધ્યાય જ વસુવિભાજન વિષે છે.

ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનુષ્યાવતારમાં શિક્ષાર્થે ગુરુ સાંદીપનીના આશ્રમમાં ગયા, જ્યાં તેઓ માત્ર ૬૪ દિવસ રહ્યા અને ૬૪ દિવસમાંજ ૬૪ કલાઓમાં નિપુણ થયા તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. ભારતીય સાહિત્યમાં કલાઓની વિવિધ સંખ્યા જોવા મળે છે. કામસૂત્રમાં ૬૪  કલાઓનું વર્ણન છે. આ ઉપરાંત 'પ્રબંધ કોશ' અને 'શુક્રનીતિ સાર'માં પણ કલાઓની સંખ્યા ૬૪ છે. લલિતવિસ્તારમાં ૮૬ કલાઓ ગણાય છે. શૈવ સંપ્રદાયમાં પણ ચોસઠ કલાઓનો ઉલ્લેખ છે. સમગ્ર રીતે ૬૪ કલા બાબતે મોટા ભાગના વિદ્વાનો સંમત થતા જોવા મળે છે અને ભારતીય જનમાનસમાં પણ ૬૪ કલાઓ રૂઢ થઈ હોય તેવું વર્તાય છે. કામસૂત્રમાં વર્ણિત ૬૪ કલાઓના નામ નીચે મુજબ છે. 

गीतं (१), वाद्यं (२), नृत्यं (३), आलेख्यं (४), विशेषकच्छेद्यं (५), तण्डुलकुसुमवलि विकाराः (६), पुष्पास्तरणं (७), दशनवसनागरागः (८), मणिभूमिकाकर्म (९), शयनरचनं (१०), उदकवाद्यं (११), उदकाघातः (१२), चित्राश्च योगाः (१३), माल्यग्रथन विकल्पाः (१४), शेखरकापीडयोजनं (१५), नेपथ्यप्रयोगाः (१६), कर्णपत्त्र भङ्गाः (१७), गन्धयुक्तिः (१८), भूषणयोजनं (१९), ऐन्द्रजालाः (२०), कौचुमाराश्च (२१), हस्तलाघवं (२२), विचित्रशाकयूषभक्ष्यविकारक्रिया (२३),.पानकरसरागासवयोजनं (२४), सूचीवानकर्माणि (२५), सूत्रक्रीडा (२६), वीणाडमरुकवाद्यानि (२७), प्रहेलिका (२८),  प्रतिमाला (२९), दुर्वाचकयोगाः (३०), पुस्तकवाचनं (३१), नाटकाख्यायिकादर्शनं (३२), काव्यसमस्यापूरणं (३३), पट्टिकावानवेत्रविकल्पाः (३४),तक्षकर्माणि (३५), तक्षणं (३६), वास्तुविद्या (३७), रूप्यपरीक्षा (३८), धातुवादः (३९), मणिरागाकरज्ञानं (४०), वृक्षायुर्वेदयोगाः (४१), मेषकुक्कुटलावकयुद्धविधिः (४२), शुकसारिकाप्रलापनं (४३), उत्सादने संवाहने केशमर्दने च कौशलं (४४),अक्षरमुष्तिकाकथनम् (४५), म्लेच्छितविकल्पाः (४६), देशभाषाविज्ञानं (४७), पुष्पशकटिका (४८), निमित्तज्ञानं (४९), यन्त्रमातृका (५०), धारणमातृका (५१), सम्पाठ्यं (५२), मानसी काव्यक्रिया (५३), अभिधानकोशः (५४), छन्दोज्ञानं (५५), क्रियाकल्पः (५६), छलितकयोगाः (५७), वस्त्रगोपनानि (५८), द्यूतविशेषः (५९), आकर्षक्रीडा (६०), बालक्रीडनकानि (६१), वैनयिकीनां (६२), वैजयिकीनां (६३), व्यायामिकीनां च (६४) विद्यानां ज्ञानं इति चतुःषष्टिरङ्गविद्या. कामसूत्रावयविन्यः.

ગુજરાતી ભાષામાં તેને નીચે મુજબ રજૂ કરી શકાય.

1) ગાયન, (2) વાદન, (3) નર્તન, (4) નાટય, (5) આલેખ્ય (ચિત્રકલા અને લખાણ), (6) વિશેષક (મુખાદિ પર પત્રલેખન), (7) રંગ પૂરણી, અલ્પના, (8) પુષ્પશય્યા બનાવવી, (9) અંગ લેપન, (10) પચ્ચીકારી, (11) શયન રચના, (12) જલતંરગ વાદન (ઉદક વાદ્ય), (13) જલક્રીડ઼ા, જલાઘાત, (14)શ્રુંગાર, (15) માલા ગૂઁથન, (16) મુગટ રચના (17) વેશ પરીવર્તન, (18) કર્ણાભૂષણ રચના, (19) અત્તર આદિ સુગંધદ્રવ્ય બનાવટ, (20) આભૂષણ ધારણ, (21) જાદૂગરી, ઇંદ્રજાળ, (22) અરમણીય ને રમણીય બનાવવુ, (23) હસ્તલાઘવ (24) રસોઈ કાર્ય, પાક કલા, (25) આપાનક કલા (શરબત બનાવવુ), (26)  સિલાઈ, (27) કલાબત્, (28) કોયડા ઉકેલ, (29) અંત્યાક્ષરી, (30) બુઝૌવલ, (31) પુસ્તકવાચન, (32) કાવ્ય-સમીક્ષા કરવી, નાટકાખ્યાયિકા-દર્શન, (33) કાવ્ય-સમસ્યા-પૂર્તિ, (34) વેણી બનાવવી, (35) સૂત્તર બનાવટ, (36) કંદોઇ કામ, (37) વાસ્તુકલા, (38) રત્નપરીક્ષા, (39) ધાતુકર્મ, (40) રત્ન રંગપરીક્ષા, (41) આકર જ્ઞાન, (42) ઉપવનવિનોદ, (43) પક્ષી આદિની લડાઈ (44) પક્ષીઓને બોલતા શીખવવુ, (45) મર્દન (46) કેશ-કૌશલ, (47) ગુપ્ત-ભાષા-જ્ઞાન, (48) વિદેશી કલાઓનુ જ્ઞાન, (49) દેશી ભાષાઓંનુ જ્ઞાન, (50) ભવિષ્યકથન, (51) કઠપુતલી નર્તન, (52) કઠપુતલી ના ખેલ, (53) પ્રતિ વર્ણન  (54) આશુકાવ્ય ક્રિયા, (55) ભાવ કથન(56) છલ કપટ, છલિક યોગ, છલિક નૃત્ય, (57) અભિધાન, કોશજ્ઞાન, (58) મહોરુ બનાવવુ (વસ્ત્રગોપન), (59) દ્યૂતવિદ્યા, (60) આકર્ષણ ક્રીડ઼ા, (61) બાલક્રીડા કર્મ, (62) શિષ્ટાચાર, (63) વશીકરણ અને (64) વ્યાયામ

કલાનો આશય માનવીના ઉત્કર્ષ ઉત્થાન માટે હોય છે જેથી તેને અપરાવિદ્યા તરીકે લેખવામાં આવે છે. મુંડક ઉપનિષદમાં ૨૩ કળાઓને અપરાવિદ્યા અને ૨૪મી કલા બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા તરીકે માનેલ છે, જે મુંડક ઉપનિષદના નીચેના શ્લોક પરથી પ્રતિપાદિત થાય છે જેમાં ૬૪મી કલાને બ્રહ્મવિદ્યા કહેવાઈ છે. 

(क्षुद्रास्त्रीषष्टविद्यासन्स्यु स्तत्फलं नश्वरं भवेत्।

चतुर्षष्टमी ब्रह्मविद्या त्वमृतदायिनी)     

બ્રહ્મવિદ્યા એટલે જીવ, જગત આત્મા અને પરમાત્મા તેમની વચ્ચેના આંતરસંબંધો, જીવનનો અર્થ અને તેનું અંતિમ લક્ષ્ય અને અપવર્ગ અથવા મોક્ષ પ્રાપ્તિ. ભારતીય દર્શનો જીવન વિમુખ દર્શનો  નથી, તે જીવન સન્મુખ દર્શનો છે. જીવન જીવવા માટેની જે ક્લાઓ છે તેમને અપરાવિદ્યા એટલેકે રોજિંદા જીવનમાં અથવા વ્યવહારમાં જેનો ઉપયોગ છે તેવી ક્લાઓને નિમ્ન કે ક્ષુદ્ર કક્ષામાં અને આત્મા-પરમાત્મા સબંધિત વિદ્યાને ઉચ્ચ કક્ષામાં મૂકી છે. આથીજ ૬૪મી કલાને અમૃતદાયિની એટલેકે અમૃત પ્રદાન કરનારી કહી છે.

કલા એ સંસ્કૃતિની વાહક છે. ભારતીય સંસ્કૃતિના વિવિધ આયામોમાં વ્યાપ્ત માનવીય અને રસપૂર્ણ તત્વો કલાના  સ્વરૂપોમાં પ્રગટ થયા છે. ઉલ્લાસ એ કલાનો આત્મા છે. રસ અથવા આનંદ અથવા સ્વાદ મનુષ્યને સ્થૂળમાંથી ચેતનમાં જોડે છે. કલા માનવીય સંબંધો અને પરિસ્થિતિઓની વિવિધ ભાવલીલાઓને અને તેના માધ્યમથી ચેતનાને ઉજાગર કરે છે. અલબત્ત ચેતનાનું મૂળ 'રસ' છે, તે સ્વાદ અને આનંદ છે જે કલા પ્રગટ કરે છે. ભારતીય કલા એક તરફ વૈજ્ઞાનિક અને તકનીકી  આધાર ધરાવે છે, તો બીજી તરફ, તે હંમેશા ભાવ અને રસને પ્રાણતત્વની જેમ જાળવી રાખે છે. ભારતીય કલા જાણવા માટે ઉપવેદ, શાસ્ત્ર, પુરાણ અને પુરાતત્વ અને પ્રાચીન સાહિત્યનો સહારો લેવો પડે છે.

Image Credit:Sulochana Gawde  https://fineartamerica.com/featured/natraj-sulochana-gawde.html

Tuesday 28 June 2022

મધુબની ચિત્રકલા


કલા ભારતીયોની રગેરગમાં વહે છે
, પછી તે સંગીત કલા હોય, નૃત્ય કલા હોય કે અન્ય કલા હોય. ભારતીય સંસ્કૃતિમાં ચૌસઠ કલાઓનું નિરૂપણ થયેલું છે. ચૌસઠ યોગીનીઓએ પ્રબોધેલી ચૌસઠ કળાઓનું  ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન છે. આ તમામ કળાઓ જીવનની ક્લાઓ છે, જીવન જીવવાની કલાઓ છે, જીવનાભિમુખ કળાઓ છે.

કળા શબ્દ સાંભળતાં જ આપણને ૬૪ કળાઓની યાદ આવી જાય. ભારતીય શાસ્ત્રોક્ત ૬૪ કળાઓ છે, જેનો મહદઅંશે પ્રત્યેક ભારતીયને બોધ હશે. શ્રીમદ ભાગવતના ભાષ્યકાર શ્રીધરસ્વામીએ 'ભાગવતમ'ના ૪૫મા અધ્યાયના ૬૪મા શ્લોકના ભાષ્યમાં કળાઓના નામ આપ્યા છે. શુક્રાચાર્યે તેમના 'નીતિસાર'માં વિવિધ કળાઓનું વર્ણન કરેલ છે. વાત્સ્યાયન પ્રણીત 'કામસૂત્ર'ના ભાષ્યકાર જયમંગલે બે પ્રકારની કળાઓનો ઉલ્લેખ કર્યો છે - 'काम शास्त्रांगभूता' 'तन्त्रावापौपयिकी-'કામ શાસ્ત્રાંગભૂત'  અને 'તંત્રવપૌપાયિક'. આ બંનેમાં દરેકમાં ૬૪ કળા છે. આમાંની ઘણી કલાઓ સમાન પણ છે અને ઘણી  પૃથક પણ છે. પ્રથમ પ્રકારમાં ૨૪ કર્માશ્રયી, ૨૦ દ્યુતાશ્રયી, ૧૬ શયનોપચારિક અને ૪ ઉત્તરકલા મળીને ૬૪  કલાઓ થાય  છે. આ પ્રત્યેકના રૂપાંતરોથી બનતી કળાઓ મળીને  કુલ ૫૧૮ પ્રકારની ક્લાઓ થાય છે.       

સદીઓથી માનવજીવન સાથે સંકળાયેલી કળાઓ આપણને આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી હોય છે. ભારતના કોઈપણ ગામમાં જઈ જુઓ તો ત્યાં તેની વિશિષ્ટ કલાના દર્શન થયા વિના રહેશે નહીં. ગ્રામ્ય સ્ત્રીઓ તેમના માટીના ઘર ખુબજ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં સજાવતી હોય છે. સિમેન્ટ કોંકરેટનું અતિક્રમણ થયું હોવા છતાં આજે પણ ભારતના  ગામડાઓમાં ઘરની દીવાલો પર છાણ-માટીના ઓળમ્બા કે આંકળીઓની અનેરી ભાત જોવા મળશે. ઘણી જગ્યાએ આંગણીઓની ભાતમાં કાચના નાના ગોળકાર ટુકડાઓથી સુશોભિત દીવાલો પણ જોવા મળશે. સમયની સાથોસાથ વિકાસના વેગે અને સિમેન્ટ કોંક્રીટના અતિક્રમણે આ કળાઓને માંદી પાડી દીધી છે અને તે લુપ્ત થવાની અણીએ છે. આવી જ બહુપ્રચલિત લોકકળા બિહારની મધુબની ચિત્રકળા છે.

મધુબની ચિત્રકલા બિહારની મહિલાઓની લોક ચિત્રકલા છે જે ભારતીય કલા સ્વરૂપો પૈકીની એક કલા છે. તે બિહાર અને  નેપાળના મિથિલા પ્રદેશમાં પ્રચલિત હોવાથી તેને મિથિલા ચિત્ર કલા પણ  કહેવામાં આવે છે. ઘણીવાર જટિલ ભૌમિતિક પેટર્ન દ્વારા વર્ગીકૃત થયેલ, આ ચિત્રો તહેવારો, ધાર્મિક વિધિઓ વગેરે પ્રસંગો માટે ધાર્મિક સામગ્રીનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે. મધુબની ચિત્રોમાં ઉપયોગમાં લેવાતા રંગો સામાન્ય રીતે વનસ્પતિ છોડ અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી લેવામાં આવે છે. આ રંગો મોટાભાગે ચળકતા હોય છે. આ ચિત્રકળા માટે બ્રશને બદલે, ટ્વિગ્સ, મેચસ્ટિક્સ અને આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

૧૯૫૦ના અરસામાં મધુબની ચિત્રકલાને સૌપ્રથમ પ્રસિદ્ધિ ડબ્લ્યૂ. જી. આર્થરે અપાવી, ત્યારબાદ આ કલાને શ્રીમતી  પુપુલ જયકરે મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી કાગળ પર રજૂ થાય તેવા પુષ્કળ પ્રયત્નો કરી દેશ વિદેશમાં રજૂ કરાવી જેને પરિણામે દેશ-વિદેશમાં આ ચિત્રોનો પ્રસાર, પ્રચાર થયો અને વેચાણ થયું. આ ચિત્રકલાએ બિહારની મહિલાઓમાં રોજગારની તકો વિસ્તારી.  આ કલામાં મહદઅંશે ‘રામાયણ’ અને મહાભારત’ ના પ્રસંગો, કૃષ્ણની રાસલીલા, પનિહારીઓ, દાનવવધ જેવા ધાર્મિક, અને મિથોલોજિકલ થીમ રજૂ થાય છે.

આ ચિત્રકલા ક્ષેત્રે ગંગાદેવીનું  નોંધપાત્ર પ્રદાન છે. તેમણે દિલ્હી, મુંબઈ, ભોપાલ, અને પટણા ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ પોતાનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજ્યાં છે.


Image Credit :  http://mpcrafts.com/product/madhubani-painting-king-queen-perform-worship-big/

 

    

 

 

Sunday 26 June 2022

પિછવાઈ

પુષ્ટિમાર્ગ શ્રી વલ્લભાચાર્યએ 16મી સદીમાં પ્રબોધેલ સંપ્રદાય છે, અને પિછવાઈ એ વૈષ્ણવ સંપ્રદાયની અનોખી આસ્થાસભર કળા છે. પિછવાઈ એ ભગવાન કૃષ્ણના જીવનની ગાથાને દર્શાવતી કાપડ પરની એક બારીક ગૂંથણી જેવી  અદ્ભુત ચિત્ર કળા છે જેની શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજીના શ્રી હસ્તકમળે થઇ હતી તેમ માનવમાં આવે છે. ત્યારબાદ તે રાજસ્થાનના નાથદ્વારામાં વિવિધરૂપે વિકસી. રાજસ્થાનના પિછવાઈ કલાકારો પિછવાઈમાં માત્ર રંગોનું મિશ્રણ જ નથી કરતા પરંતુ વિવિધ રંગોનું સામંજસ્ય  રચી  જગતકર્તા ભગવાન જગન્નાથને પિછવાઈમાં વિવિધરૂપે ચિત્રણ કરે છે. પિછવાઈ ચિત્રકળા ક્ષેત્રે અનેક  પ્રકારની શૈલીનો વિકાસ થયો  જેમાં  નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બુંદી શૈલી, કોટા શૈલી, કિશનગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જયપુર શૈલી મુખ્ય છે. પિછવાઈ કલાના ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, વાદળી, લીલા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હળદર, સિંદૂર, પારિજાતના પુષ્પો, વૃક્ષોની છાલ અને પાંદડાંઓ, કંદમુળમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, કિંમતી રત્નો, માટી, રેશમી દોરા, લાખ, અને અન્ય પદાર્થો નો ઉપયોગ પણ થાય છે.

આ કળા ભગવાન કૃષ્ણના જીવનના દરેક આયામોને બારીકાઈથી ચિત્ર સ્વરૂપે દર્શાવે છે. પિછવાઈ એ કાપડનો ચોરસ કે લંબચોરસ ટુકડો હોય છે જેના પર ચિત્રો દોરવામાં આવે છે. ઘણીવાર નાના કદથી લઈને રજાઈના કદ સુધીની પિછવાઈ પણ  હોય છે. સામાન્ય રીતે તેને દેવી-દેવતાની મૂર્તિની પાછળ લટકાવવામાં આવે છે. પિછવાઈ શબ્દ 'પિછ' પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પાછળ, અને 'વાઈ', જેનો અર્થ ટેક્સટાઈલની ડ્રેપરી થાય છે. પરંપરાગત રીતે પિછવાઈ વલ્લભાચાર્ય સંપ્રદાયના પુષ્ટિમાર્ગી અનુયાયીઓ દ્વારા બનાવવામાં આવે છે. મૂળરૂપે, પિછવાઈ ચિત્રોનો ઉપયોગ નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરને સુશોભિત કરવા માટે કરવામાં આવતો હતો. સામાન્ય રીતે પિછવાઈ શુભ પ્રસંગોએ તથા ભગવાન કૃષ્ણના જીવન સાથે વણાયેલી વિવિધ ઋતુઓ, તહેવારો અને ઉત્સવો અને તેની  ઉજવણી સમયે ભગવાનની પ્રતિમા પાછળ લટકાવવામાં આવતી હતી.  


કાપડ પર બનેલા પિછવાઈ ચિત્રો ભગવાન કૃષ્ણના જીવનને લગતી વિવિધ ગાથાઓ, પ્રસંગો અને લીલાઓ દર્શાવે છે. પિછવાઈમાં ભગવાન કૃષ્ણને ઘણીવાર શ્રીનાથજી તરીકે દર્શાવવામાં આવે છે, જે સાત વર્ષના બાળક તરીકે પ્રગટ થયેલા દેવતા છે. પિછવાઈ ચિત્રોમાં અન્ય સામાન્ય થીમ રાધા, ગોપીઓ, મોર, ગાય અને પુષ્પો હોય છે. તેમાં શરદ પૂર્ણિમા, રાસ લીલા, અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, નંદ મહોત્સવ, દિવાળી અને હોળી જેવા તહેવારો અને ઉત્સવોનું વારંવાર ચિત્રણ કરવામાં આવે છે. કલાકારોએ કૃષ્ણને બાળપણથી લઈને તેમની ગોપીઓ સાથેની રાસ લીલા સુધીની વાર્તાઓનું નિરૂપણ કરવાની અને મથુરાના ઘાસના મેદાનોમાં ગાયોના ગોવાળો વચ્ચે વાંસળી વગાડવાની વિવિધ શૈલીઓ વિકસાવી. સમયની સાથે, પિછવાઈને તેના મનમોહક દ્ર્શ્યાકર્ષણને કારણે કલાપ્રેમીઓના ઘરોમાં સ્થાન મળ્યું. અન્ય કેટલાક પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોની જેમ, પિછવાઈની કળા પણ લુપ્ત થઈ રહી છે, તેના અસ્તિત્વ માટે તેને યોગ્ય માન્યતાની, પ્રોત્સાહન અને પ્રચાર પ્રસારની જરૂર છે.


 

 

Saturday 11 June 2022

જ્ઞાની કવિ અનવર કાજી (સંવત ૧૮૯૯ - ૧૯૭૨)

 

જ્ઞાની કવિનો ઉલ્લેખ થાય ત્યારે આપણને સહજ રીતે કવિ અખાનું સ્મરણ થયા વિના રહે નહીં. કવિ અખો એટલે જ્ઞાનનો ભંડાર અને દર્શનશાસ્ત્રનું નિચોડ એમના છપ્પાઓમાં મળે. ગરબીઓની વાત કરીએ તો આપણને ગરબીના પિતા દયારામ અને તેમની કૃષ્ણભક્તિ ભરી ગરબીઓ યાદ આવે, હિન્દી સાહિત્યમાં કૃષ્ણ ભક્તિની વાત કરીએ તો રસખાનને કેમ ભૂલાય? પણ આજે આપણે અખો, દયારામ અને રસખાનની કોટિના સૂફી કવિ અનવર કાજીને ઓળખીશું. 

તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત એવા જ્ઞાની કવિ અનવર કાજીનો જન્મ ગુજરાતના વિસનગર મુકામે થયો હતો. તેમના વડવાઓ અરબસ્તાનથી આવી ગુજરાતના પાટણમાં વસેલા અને ત્યારબાદ વિસનગર સ્થાયી થયા. કહેવાય છે કે હીરાનું મૂલ્ય ઝવેરી જ જાણે, કવિ અનવરમિયાંની વિદ્વતા, તેમની જ્ઞાન આભા, તેમની દિવ્યતા અને તેમની સાધુતાને શ્રી હઠીસંગ ચુનીલાલ નામના જૈન ગૃહસ્થે સુપેરે પારખી અને પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી. અનવરમિયાં કાજી પણ શ્રી હઠીસંગ પર વિશેષ પ્રેમકૃપા વરસાવતા રહેતા.  

સૂફી પરંપરામાં શિક્ષા પાટી-પેન કે પુસ્તકો દ્વારા શીખવવામાં આવતી નથી પરંતુ  ઉપનિષદ શબ્દના અર્થ મુજબ ગુરુ દ્વ્રારા શિષ્યમાં આપમેળે સિંચિત થાય છે. ઉપનિષદ શબ્દનો અર્થ જ જ્ઞાનાર્થે ગુરુ પાસે બેસવું તેવો થાય છે. જેમ ઋષિઓએ પોતાના શિષ્યોને જ્ઞાન આપ્યું તેમ અનવરમિયાં કાજીને પણ એક સૂફી મસ્તાન સૈયદ હૈદરશાહે જ્ઞાનનું અમ્રુત પાયું. અનવર કાજી પોતે લખે છે કે, જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી ત્યારે સિંધ પ્રાંત તરફથી એક સૂફી મસ્તાન આવી ચારેક દિવસ રોકાયા હતા. બાળક અનવર તેમની સેવામાં લાગી ગયા.  બાળક અનવરમાં કોઈ દિવ્યઆભા જોઈ સંતે એક શરબતનો પ્યાલો લીધો અને તેમાંથી એક ઘૂંટ શરબત પોતે પી ગયા ને  બાકીનો પ્યાલો કાજી અનવરમિયાને આપ્યો. તે પછી શું થયું તેની તેમને કોઈ જ સુજબૂઝ ન હતી, તેવું તેઓ લખે છે. શરૂઆતના ધાર્મિક શિક્ષણ બાદ કાજી સાહેબની અધ્યાત્મિક યાત્રા સતત ચાલુ રહી. તેઓ સાધુ, સંત, મહાત્માઓને મળતા રહેતા અને જ્ઞાનગોષ્ઠી કરતા રહેતા. અધ્યાત્મિકતાની જ્યોત તેમના રોમેરોમમાં એવી તો પ્રજ્વલિત થઈ કે તેઓ પોતે વૈરાગી બની જંગલમાં અને કબ્રસ્તાનમાં ફકીરી જીવન ગાળવા લાગ્યા. એ અરસામાં એમનુ સ્વાસ્થ્ય પણ નબળું થવા લાગ્યું જે દેખી શેઠ હઠીસંગનું કાળજું દ્રવી ઉઠ્યું અને તેઓ આ ફકીરને ગામમાં રહી પ્રભુ ભક્તિ કરવા પરત લઈ આવ્યા.

જેમ ઋષિઓએ અરણ્યમાં આરણ્યકોની રચના કરી તેમ અનવર કાજીએ પોતાના કાવ્યો અરણ્યમાં તેમના એકાંતવાસ દરમ્યાન જ લખ્યાં. કાજી ખુબજ ઉદાર અને રહેમ દિલના હતા જેથી તેઓ જે કઈં લખતા તે કોઈપણ વ્યક્તિ માંગે તો તેને પ્રેમથી  આપી દેતા હતા. આ વેરવિખેર થયેલાં મોતીઓને એક માળામાં પરોવી અથવા  વિખરાયેલા પુષ્પોનો એક કાવ્યગુચ્છ બનાવી આપણી સમક્ષ મૂકવાનું કાર્ય શેઠ હઠીસંગે અને તેમના ભાઈ શ્રી મહાસુખભાઇએ કર્યું અને તેને અનવર કાવ્ય (ગુલશને ખુશી) જેવું મનમોહક નામ આપ્યું. અનવર કાવ્ય સંકલન મુખ્યત્વે છ વિભાગોમાં વહેંચાયું છે - ભજન સંગ્રહ, ગરબી સંગ્રહ, પદ સંગ્રહ, ગઝલ સંગ્રહ, નસીહત સંગ્રહ અને પરચુરણ કાવ્યો. 

તસવ્વુફ, યોગવિદ્યા અને ષડદર્શનમાં પારંગત એવા અનવર  કાજીના કાવ્યોમાં તત્વદર્શનના રણકારની સાથે પ્રેમભક્તિ અને ભજનોની સુંદર અને અપ્રતિમ ગૂંથણી જોવા મળે છે. ગુજરાતી અને ઉર્દુ એમ બંને ભાષાઓમાં રચાયેલી તેમની કૃતિઓ તેમની જ્ઞાન પ્રતિભાને  ઉજાગર કરે છે. તેમના કાવ્યોમાં લય છે, માધુર્ય છે, તત્વજ્ઞાન છે, પ્રભુપ્રેમ છે, વિરહતા, નિસ્પૃહતા, સામાજિક સંદેશ અને માનવીય મૂલ્યો છે. દયારામની ગરબીઓમાં છલકતી કૃષ્ણભક્તિ જેવી કૃષ્ણભક્તિ પણ છે. તેમની કૃતિઓમાં બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી, જગતનો નિષેધ નથી.

બ્રહ્મ સાથે આત્માનો સંબંધ અંશી-અંશનો છે એમ કહી દયારામની જેમ જ્ઞાનથી ભક્તિ શ્રેષ્ઠ છે તેમ તેઓ કહેતા નથી. તેમણે આત્માને કૃષ્ણ, મહાન, પાતળિયા, શામળિયા જેવા નામથી સંબોધ્યો છે. ગરબીઓમાં તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ નજરે ચડે છે. જનહૃદયને ઝંકૃત કરતી, ભક્તિનો  ઘોડાપૂર પૂર વહાવતી ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. 'વ્હાલે વાંસળી વગાડી રે, મોહી રહી હું મનમાં' ગરબીમાં પરમાત્મા પ્રત્યેનો દિવ્યપ્રેમ વ્યક્ત થયો છે. સૂફી કવિઓ પરમાત્માને પોતાની માશૂકા/ પ્રેયશી ગણતા અને પોતાને પ્રિયતમના સ્થાને મૂકતાં. અનવર કાજીની ગરબીઓમાં પણ આવું જ જોવા મળે છે. 'મ્હારા મ્હોલે આવો રે' ગરબીમાં તેઓ સાચા સ્વામિ શામળિયાને મનાવવાની આજીજી કરે છે, તો અંતિમ પંક્તિમાં શામળિયાને કોને ત્યાં રાત વિતાવી તેવો વેધક પ્રશ્ન પણ પૂછી લે છે. 'પ્રેમ પિયુજીથી પીધાં રે' માં પ્રિયતમ પરમાત્માના વિરહની વેદના વ્યક્ત થઈ છે. કવિ કહે છે, મારો જીવડો તલપે રે વ્હાલા વિના હે રે સખી, મને રજની ન જાયે રે અમે દુ:ખ કેમ સહીએ?’ કૃષ્ણની સાથો સાથ 'મહંમદ મીઠડું નામ છે તમારું' ગરબીમાં સર્વધર્મૈક્યની ભાવના મ્હોરી છે. આ ગરબીમાં મહંમદ, બ્રહ્મ, કૃષ્ણ, રામ, કેસરિઆ અને શામળિયા જેવા શબ્દોની ગૂંથણી દ્વારા કવિ બ્રહ્મ તો સર્વત્ર એકજ છે તેમ કહેવા માંગે છે. આ ગરબીમાં નરસિંહ મહેતાના અખિલ બ્રહમાંડમાં ઈશ્વર તો એકજ છે, તેવી વાત કરે છે. નિરાકાર પરમેશ્વરની સ્તુતિ રૂપે, ' શું કહું  અલખ મહારાજ તારી વાતો રે' નામની ગરબી અનેરી છે. બ્રહ્મજ્ઞાન અને યોગના સમાધિપાદ પરની ગરબી, સખી 'મહાપદની તે વાત કોને કહીએ રે' અદ્ભુત છે. કુલ ૩૯ ગરબીઓનું રસદર્શન કરાવવું આ લેખમાં શક્ય નથી, પરંતુ એમ કહી શકાય કે સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક, મીમાંસા અને વેદાંત એમ ષડદર્શનોનો સાર, ભક્તિરસથી તરબોળ એવી ૩૯ ગરબીઓમાં નિરુપાયો છે.

અનવર કાજીની રચનાઓમાં અન્ય ધર્મો પ્રત્યે ક્યાંય છોછ કે આભડછેટ જોવા મળતી નથી. કાજીને મન તો કાનુડો, શામળિયો, પાતળિયો, કેસરિયો અને મહંમદજી અભેદ છે. ભાષા, ધર્મ, જાતિ કે લિંગનો ભેદ તેમની કવિતાઓમાં સહેજેય ડોકાતો નથી. 

જેટલું  ઉદાત્તત્વ ગરબીઓમાં છે, તેટલું જ ઉદાત્તત્વ ભજનોમાં પણ વણ્યું છે. 'કલમા ભલા પઢાયા રે, કલમે જૈસા પદારથ ઓર નઝર નહીં આયા રે કહીને તેઓ તૌહિદ કે એકેશ્વરવાદને ઇંગિત કરે છે. આગળ જતાં તેઓ કહે છે,  મોંસે પઢિયા  દિલસે માના વૈંકુંઠ દ્વાર ખુલાયા, કેવલજ્ઞાન કલમે સે હોવે અગમ સમજમે આયા રે.' જેણે પણ એકેશ્વરવાદની ઈશ્વરની એકતાનો સ્વીકાર શબ્દોથી કર્યો અને દિલથી માન્યો, તેણે પોતાના માટે વૈંકુંઠના દ્વાર ખોલી દીધા. સર્વધર્મની વાત આ ભજનમાં ગૂંથાઈ છે. 'ઋષિ, તપસી, ઔર તીર્થંકર જિસને જોગ ઉઠાયા રે ભાઈ' આ પંક્તિમાં તો અનવર કાજીએ તમામ ધર્મોના મહાત્માઓને એક હરોળમાં મૂક્યા છે. જેણે પણ અલખની ધૂણી ધખાવી છે, જેણે જોગ ઉઠાવ્યો છે, તેને પરમપદ, અપવર્ગ અચૂક મળવાનો જ છે. કલમાનો સામાન્ય અર્થબોધ લેતાં તે ઇસ્લામ ધર્મનો મૂળ મંત્ર છે, પણ આ ભજનમાં તમામ ધર્મોના બીજ મંત્રોને કવિએ મોક્ષ પ્રાપ્તિના સાધન તરીકે કલમાના રૂપકથી આલેખ્યાં છે. ભજનમાં આવતાં ઋષિ, તપસ્વી, સંત, તીર્થંકર, કેવલજ્ઞાન, રિદ્ધિ સિદ્ધિ, પીર, પયગંબર, મોક્ષ, મુનિ, ભગત, અતીત, જ્ઞાની, ઇસ્મે-આઝમ અને ચાર વેદ આ બાબતની પ્રતીતિ કરાવે છે.

ગઝલોમાં પણ ભજનો અને ગરબીઓની જેમ દિવ્યશક્તિના જ ગુણગાન ગવાયાં છે. કવિની ભાષા શૈલી જોતાં ઘણીવાર મીરા, નરસિંહ, દયારામ અને પ્રેમાનંદના કાવ્યલોકમાં સફર કરતાં હોઈએ તેવો એહસાસ થયા વિના રહેતો નથી. ઘુંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે, અને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈની ભાવના  કવિની પ્રત્યેક રચનામાં અંતરયાત્રા કરી રહી હોય તેવું કાજીની કવિતાઓ વાંચતાં અનુભવાય છે.

 જીવનના અંતિમ દિવસોમાં અનવર કાજી, પાલનપુર મુકામે પ્રયાણ કરી ગયા, જ્યાં તેમના પ્રત્યે અતિ આદરભાવ રાખતા નવાબ શેર ખાનજી તેમને પોતાની સાથે લઈ ગયા અને તેમના ચંદ્રમહેલમાં રાખ્યા, સેવા સુશ્રુષા કરી, જ્યાં અનવર કાજીએ તેમની જિંદગીનો અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયાને હંમેશ માટે અલવિદા કહી. તેમના નિધન  પછી નવાબે તેમની કબર પર સુંદર મકબરો બનાવ્યો, જે આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 

એમનાં ગુજરાતી પદોમાં વીતરાગ સાથે મીઠાશ છે, દિવ્ય પ્રેમભક્તિને સૂફીવાદની પરિભાષામાં સમજાવવાની અપ્રતિમ સહજતા છે, અને લાઘવ પૂર્ણ ઉક્તિઓ એમની રચનાઓનું બળ છે. માનવમૂલ્યો સમજાવતા નસીહત એટલે કે ઉપદેશના કાવ્યો ગુલશને ખુશીની નોંખી વિશેષતા છે. તેમની રચનાઓ સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત અને અસરકારક છે જે  નસીહત નામા-૧ની કેટલીક પંક્તિઓ વાંચતા જ જણાઈ આવશે.

“અબ કિસીકી અકલકો કોઈ પસંદ કરતા નહીં, જો કહે હક બાત ઉસ પર કાન કોઈ ધરતા નહીં.અબ તો યહ કહતે હૈ કી સચ સે પેટ કુછ ભરતા નહીં, જૂઠ બોલે બિન ચકસીકા કામ અબ સારતા નહીં.જો કે સચ બોલે ઉસે તો કહતે હૈ નાદાન હૈ, ઔર જૂઠે ઔર ફરેબી કા જહાઁ મેં માન હૈ."                                                                                                  (નસીહત નામા-૧, અનવર કાવ્ય)

 (અવતરણો સાભાર: અનવરકાવ્ય (ગુલશને ખુશી) સંકલન સ્વ. શેઠ હઠીસંગ ચુનીલાલ)

Image Courtesy enwikipedia.org : Painting by Fra Angelico. It represents all saints. 

 

Sunday 5 June 2022

અકબર પ્રતિબોધક જગદગુરુ હીરવિજયસૂરિ :

 


૨૪ તીર્થંકરો પ્રણિત અને ૧૧ ગણધરો દ્વારા સિંચિત જૈન ધર્મની સાધુ પરંપરા અપ્રતિમ છે. જૈન ધર્મના  તમામ ફાંટાઓમાં સાધુપ્રથા સર્વસામાન્ય છે. દિગંબર પંથમાં આચાર્ય ઉમાસ્વાતિ થી લઈને કુંદ્કુંદાચાર્ય, તેરાપંથી જૈન સંપ્રદાયમાં આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ, શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં અનેક આચાર્યો, સ્થાનકવાસી સંપ્રદાયના અનેક આચાર્યોએ જૈન ધર્મના મૂલ્યોનું પ્રજાને સિંચન કર્યું છે. પ્રાચીન સમયથી લઈને સાંપ્રત સમય સુધી જૈન ધર્મમાં સાધુ પરંપરાનો ધર્મક્ષેત્રે અને લોક કલ્યાણ ક્ષેત્રે ઉમદા ફાળો રહ્યો છે. આજે આપણે ઓજસ્વિ પ્રતિભા ધરાવતા, પ્રબુદ્ધ આચાર્ય હિરવિજયસૂરિ અને સમ્રાટ અકબર વિષે વાત કરીશું.

ભારતના ઈતિહાસમાં સમ્રાટ અશોક અને હર્ષ પછી સદભાવના અને સહિષ્ણુતાની બાબતમાં જો કોઈ નામ આવતું હોય તો તે નામ છે સમ્રાટ અકબરનું. મહાન સમ્રાટ અકબર નામના પુસ્તકમાં બંકિમચંદ્ર લાહિડી અકબરની મહાનતાના ભરપેટ વખાણ કરતાં સ્વામિ રામતીર્થના ગ્રંથમાંથી અવતરણો ટાંકે છે. સ્વામી રામતીર્થ કહે છે કે, “અકબર બાદશાહનું મુખમંડળ વસંતના પુષ્પની જેમ ખીલેલું રહેતું, સુશીલતા દર્શક હાસ્ય તો જાણે તેમના હોઠોમાં પરોવી જ રાખ્યું હતું, અને આવી પ્રસન્નતા શા માટે ન હોય? જ્યાં વિશ્વપ્રેમ અને ઈશ્વર ભક્તિ હોય ત્યાં ક્રોધની શી હૈસિયત કે તેમની સમીપ જઈ શકે?

 મહાન સમ્રાટ અકબર પુસ્તકના લેખક શ્રી બંકિમચંદ્ર લાહિડી વિષે બે બોલમાં ભિક્ષુ-અખંડાનંદ લખે છે કે, “અનેક ઐતિહાસિક સ્થળોને જાતોજાત નિહાળીને લેખકે તેમના ગ્રંથમાં તેના હ્રદયગ્રહી વર્ણનો આપ્યા છે તથા અકબરની યોગ્યતા રુડે પ્રકારે વર્ણવીને તેમજ અકબર ઉપર મૂકાતા આક્ષેપોને પણ સપ્રમાણ સયુક્તિક રદિયો આપી ઇન્સાફ કર્યો છે.  ગ્રંથમાં વર્ણવેલ ઐતિહાસિક હકીકતોના સંદર્ભો આપી ગ્રંથની ઐતિહાસિક પ્રમાણિતતા દર્શાવી છે, તે બદલ લેખકને જેટલો ધન્યવાદ અપાય તેટલો ઓછો છે.”

શું દોસ્ત કે દુશ્મન, પોર્ટુગલના પાદરી કે ગુજરાતના જૈન, અમિર કે ગરીબ વિદ્વાન કે મૂર્ખ, દુરાચારી કે સદાચારી, એ સર્વેના અંત:કરણ જેણે જીતેલા હતા, અને જેને જ્યાં ઈચ્છા થાય ત્યાં તેના ખોળાનું ઓશીકું કરી, જરા પણ ચિંતા કર્યા વિના પગ લાંબા કરી ઊંઘી શકે તેવો હતો તે કોણ? હિંદુસ્તાનનો શહેનશાહ અકબર અને આવા મહાન અકબરના પ્રતિબોધક હતા, પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિ. પ્રતિબોધ એટલે જગાડવું, પ્રમાદમાંથી જગાડવું, અજ્ઞાનરૂપી આવરણને દૂર કરી જ્ઞાનના પ્રકાશને ઉઘાડવું. વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ હોવું એ પ્રભાવકતા, પણ વ્યક્તિમાં તત્વનો ઉઘાડ થવો, સત્વ પ્રત્યે જાગરુકતા આવવી તે પ્રતિબોધ છે. પ્રતિબોધ એટલે ગુરુકૃપાથી જ્ઞાનરૂપી ઝરણાનું ખળખળ વહેવું. આચાર્ય જગદગુરુ હિરવિજયસૂરીના સંસર્ગથી અકબર બાદશાહમાં સત્યનો, તત્વનો, જ્ઞાનનો અવિરત ઉઘાડ થતો રહ્યો.

અકબરના દરબારમાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનાર જૈન વિદ્વાનોમાં શ્રી પદ્મસુંદરજીનો સમાવેશ થાય છે અને ત્યારબાદ સમ્રાટ અકબરના આમંત્રણથી ઈ.સ. ૧૫૮૨માં પૂજ્ય આચાર્ય હીરરવિજયસૂરિએ મુલાકાત લીધી. આચાર્ય હિરવિજયસૂરિનો જન્મ પાલનપુરમાં વિ.સ. ૧૫૮૩માં થયો હતો, તેમનું બાળપણનું નામ હિરજી હતું અને તેમની માતુશ્રીનું નામ નાથીબાઇ અને પિતાશ્રીનું નામ કુરાશાહ હતું.

શ્રી હીરવિજયસૂરિ તેમના યુગમાં જૈન શાસનના નભોમંડળમાં સૂર્ય સમાન તેજસ્વી, સમર્થ, પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્ય હતા. પટ્ટધરોની દ્રષ્ટિએ જોઈએ તો તપોગચ્છીય પરંપરામાં આચાર્ય હીરવિજયસૂરિ, સુધર્માસ્વામિની ૫૮મી પાટે ગુરુ શ્રી વિજયદાનસૂરિની આજ્ઞાથી  બિરાજેલ હતા. તેમનું જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપોબળ અગાધ હતું. તેમનું પ્રદાન, પ્રભુત્વ અને પ્રાબલ્ય ચોમેર ફેલાયેલું હતું. ગુર્જર નરેશ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જેમ કલિકાસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનું સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેમ આચાર્ય હીરવિજયસૂરિનું સમ્રાટ અકબરના સમયમાં તીર્થક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. સમ્રાટ અકબરે શત્રુંજ્ય, ગિરનાર, સમેત શિખર, તારંગા, આબુ અને રાજગૃહીના પાંચેય શિખરો આચાર્ય હિરવિજયસૂરિના જૈન શ્વેતામ્બર સંઘને અર્પણ કર્યા હતા. આ બાબત જ આચાર્ય હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિના દર્શન કરાવે છે. આચાર્ય હીરવિજયસૂરિની ખ્યાતિ, તેમની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા અને ઉચ્ચકોટીની જ્ઞાનઆભાથી સંતુષ્ટ થઈ સમ્રાટ અકબરે તેમને માત્ર પાંચ શિખરો જ અર્પણ કરેલ હતા, તેમ નથી પરંતુ તેણે પોતે માંસાહારનો ત્યાગ કરેલ અને પર્યુષણ માસ દરમિયાન અને ત્યારબાદ ૬ માસ સુધી સમગ્ર દેશમાં માંસાહાર પર પ્રતિબંધ ફરમાવ્યો. અકબર જેવા મુસલમાન બાદશાહને પ્રતિબોધિત કરીને સમગ્ર હિંદુસ્તાનમાં અમારિ પ્રવર્તનને દ્રઢ કરાવનાર આચાર્ય હિરવિજયસૂરીની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ જૈન ધર્મી અજાણ હશે. આચાર્ય હિરવિજયસૂરી ગંધારથી પ્રયાણ કરી વિ. સ. ૧૬૩૯માં ફતેહપુર સિક્રી પહોંચ્યા, જ્યાં તેમનું બાદશાહના દરબારમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ ફતેહપુર સિક્રીમાં ચાર વર્ષ વિચરી બાદશાહ અકબર તેમના પરિવાર અને અન્ય રાજ્યધિકારીઓને ધર્મોપદેશ આપી અંતે ગુજરાત પ્રયાણ કર્યું. આચાર્ય હિરવિજયસૂરીના ધર્મોપદેશથી પ્રેરાઇને રાજાએ પશુ પક્ષીઓને મુક્ત કર્યા, કેદીઓની સજા માફ કરી, પશુ પક્ષીઓને શિકાર બંધ કરાવ્યો, નિર્વંશીય લોકોનું ધન લેવાનું બંધ કર્યું, જજીયાવેરો માફ કર્યો અને અનેક ફરમાનો કાઢી ધર્મસ્થાનોનું રક્ષણ કરવા તથા જિનાલયો બાંધવા માટેના ફરમાનો કાઢ્યા.

અકબરને મહાન સમ્રાટ ગણવો કે કેમ તે બાબત પ્રબુદ્ધ જૈન આચાર્યોએ, ભિક્ષુ અખંડાનંદે, સ્વામિ રામતીર્થે, પૂજ્ય શ્રી પદ્મસાગરગણિએ, અનેક ઈતિહાસકારોએ, જૈન અને જૈનેત્તર વિદ્વાનોએ, સાહિત્યકારોએ અને સંત-મહાત્માઓએ, સમયાંતરે તેમના ઉદબોધનો, લખાણો, કાવ્યો અને વકતવ્યો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણો આપી આપણને નક્કી કરી આપી છે.

સાંપ્રત સમયના લોકશાહી રાજયમાં ઈતિહાસને, ઇતિહાસ તરીકે તટસ્થ દ્રષ્ટિથી મૂલવવું તો બાજુ પર રહ્યું, આજે કિન્નાખોરી, લોભ, ઈર્ષા, નફરત, એષણા, સત્તાલાલસા અને સ્વાર્થ જેવા કલેષોથી પ્રેરાઈ લોકો ઈતિહાસમાંથી કાદવ ખોદવા બેસી ગયા છે, તે અતિ નિંદનીય અને દુ:ખદ બાબત જ નહીં પણ  અત્યંત હાનિકારક બાબત છે. અલ્પમતિના ઈતિહાસકારો જ્યારે રાજકીય પક્ષોને ખોળે બેસી, તેમના અંગત સ્વાર્થ માટે ઐતિહાસિક ઘટનાઓનું મનઘડત તોડ મરોડ કરવા બેઠા હોય ત્યારે જૈન મહાત્માઓએ પોતાના ગ્રંથોમાં કરેલાં વિવરણો પ્રજા સમક્ષ મૂકવા ખૂબ જરૂરી થઈ પડે છે. સમ્રાટ અકબરના શાસનનું તટસ્થચિત્ર શ્રી પદ્મસાગરગણિ વિરચિત જગદગુરુ કાવ્યમાં મળે છે. શ્રી પદમસાગરગણિએ તો જગદગુરુ કાવ્યમાં મુઘલ કાળના ઈતિહાસને પુનર્જીવિત કરી ઘટનાઓનું તાદ્રશ્ય ચિત્રણ કરેલ છે, જે ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય કાવ્યની સાથો સાથ એક ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે છે. પૂજ્ય આચાર્ય હીરવિજયસૂરિને અકબર બાદશાહનું નિમંત્રણ, તે સમયની પરિસ્થિતી, ચંપા નામની શ્રાવિકા બહેને કરેલ ૬ માસના ઉપવાસ પશ્ચાત નીકળેલ વરઘોડો જોયા બાદ હકીકત અંગે ચંપાએ કરેલ ગુરુકૃપાનું વર્ણન જેને લીધે અકબરના હ્રદયમાં જૈન ધર્મને સમજવાની તાલાવેલી જાગી, આ તમામ બાબતો શ્રી પદ્મસાગરગણિએ કાવ્યમાં જેમ ચિત્રપટ પર દ્રશ્યો સાક્ષાત થતાં હોય તેમ કાવ્યના એક એક શ્લોકમાં અત્યંત સુંદરતાથી વર્ણવેલ છે, જે વાચકના ચક્ષુપટલ પર અનેરી ભાત ઉપજાવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે પૂજ્ય પદ્માસાગરગણિની આ રચના આચાર્ય હીરવિજયસૂરિની હયાતીના સમયે જ લખાયેલ છે જેથી તેમાં કોઈ પ્રક્ષેપણ કે અતિશયોક્તિને સ્થાન ન હોઇ શકે.

તેમના સમકાલીન લોકોથી વિપરીત, પદ્મસાગરગણિનું વર્ણન મુઘલ સામ્રાજ્યની સ્થાપના અને તેની સીમાઓનું વિસ્તરણ ઉપરાંત ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓના વિકાસથી ભરપૂર છે. શ્રી પદ્મસાગરગણિના દૃષ્ટિકોણમાં સફળતા એટલી નિર્ણાયક હતી કે તેમણે મુઘલ ઇતિહાસનું પુનઃલેખન કર્યું છે. જગદગુરુ કાવ્યના પ્રથમ ૪૦ શ્લોકોમાં તેઓ હીરવિજયસૂરિના જન્મ, તેમની દીક્ષા, જીવની અને તપગચ્છના આચાર્ય તરીકેની વરણીની સુંદર ગૂંથણી કરે છે અને ત્યારબાદ શ્લોક ૪૧ થી આગળ મુઘલ શાસનનું ચિત્રણ કરે છે. શ્લોક ૮૫-૮૬માં અકબર બાદશાહના રાજ્યાભિષેકને લઈને પદ્મસાગરગણિ ફતેહપુરસીક્રીને મુઘલ શક્તિ અને ભારતીય સાંસ્કૃતિક સમૃદ્ધિની શક્તિશાળી એકતા તરીકે જુએ છે, જેમાં હિન્દુ, જૈન અને મુસલમાન સૌ ફૂલ્યાફાલ્યા.

શ્રી દેવવિમલગણિએ પણ ‘હીર-સૌભાગ્ય’ મહાકાવ્યની રચના કરી જેમાં આચાર્ય હીરવિજયસૂરિના જન્મ થી લઈ તેઓ કાળધર્મ પામ્યા ત્યાં સુધીની બાબતોનું આલેખન ઉપરાંત જૈન સંતો અને મુઘલ બાદશાહ વચ્ચેના આદાનપ્રદાનનું વર્ણન છે. આ ઉપરાંત શ્રી સિદ્ધિચંદ્ર ઉપાધ્યાય વિરચિત ‘ભાનુચંદ્રગણિચરિત’ પણ આ બાબતે ખુબજ અનોખું સ્થાન ધરાવે છે. શ્રી વિમલદેવગણિ 'સિદ્ધસૌભાગ્ય'માં બાદશાહ અકબર અને તેના શાસનને અનેક ઉપમાઓ, રૂપકો અને પ્રતીકો દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે,  તેના યશોગાન, કિર્તિ અને ચોમેર ફેલાયેલ પ્રફુલ્લિતતા અને પ્રસન્નતા, સૌહાર્દ અને શાંતિનું અદ્વિતીય કાવ્યાત્મક સંસ્કૃત ભાષામાં તાદ્રશ્ય કરે છે. સિદ્ધસૌભાગ્યમાં શ્રી વિમલદેવગણિ જેવુ અદ્ભુત અને અવિસ્મરણીય વર્ણન ભાગ્યેજ હશે. બીજા અધ્યાયના શ્લોક ૫૭માં તો શ્રી વિમલદેવગણીએ સ્વયં બ્રહ્માએ કેવી રીતે અકબરનું નિર્માણ કર્યું હશે તે અત્યંત હ્રદયસ્પર્શી રીતે અને અત્યંત ભાવનાત્મકતાથી મૂક્યું છે. તેઓ કહે છે, “ બ્રહ્માએ જાણે ઈશ્વરનું ઐશ્વર્ય, સુરેન્દ્રની પ્રભુતા, સૂર્યની ઓજસ્વિતા, કુબેરની દાનવીરતા અને શેષનાગની પૃથ્વીને ધારણ કરવારૂપ સહનશીલતા અથવા સાહસિકતા ગ્રહણ કરીને અકબર બાદશાહનું નિર્માણ કર્યું હતું.” સિદ્ધસૌભાગ્યમાં આચાર્ય હિરવિજયસૂરી અને અકબરના દરબારમાં થયેલ શાસ્ત્રાર્થ પણ ખુબજ વેધક  રીતે રજૂ થયેલ છે. અનેક પ્રશ્નોત્તરી   બાદ તેનાથી સંતુષ્ટ થયેથી જ બાદશાહ અકબરે આચાર્ય હીરવિજયસૂરિને જગદગુરુના બિરુદથી નવાજયા. આ પ્રસંગ બાદ જ અકબરનો જૈન ધર્મ પ્રત્યે સવિશેષ લગાવ અને ભાવના જાગી, અને તેના હ્રદયમાં પ્રત્યેક જીવ પ્રત્યે દયા, કરુણા, અને સમતા પ્રબળ થયા. આનેજ કહેવાય ધર્મપ્રબોધ, અને આચાર્ય હીરવિજયસૂરિ અકબરના પ્રબોધક થયા. શ્રી દેવવિમલગણિ સિદ્ધસૌભાગ્યમાં અકબર જ્યારે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને પોતાની ચિત્ર શાળામાં લઈ જતો હોય છે તે સમયના દ્રશ્યને ગણિશ્રી, ટૂંકા પણ અતિસુંદર શબ્દો દારા વ્યક્ત કરે છે, તેઓ કહે છે કે, જેમ ઇંદ્રની સાથે ગુરુ બૃહસ્પતિ જાય તેમ સુરિજી પણ બાદશાહની સાથે ચાલ્યા. આચાર્ય હિરવિજયસૂરિને આવકારવા હજારોની સંખ્યામાં લોકો વિવિધ વાજિંત્રો લઈ એકઠા થઈ ગયા હતા. અનેક સાધુ મહાત્માઓ પણ સવારથીજ ઉમટી પડ્યા હતા. આચાર્ય હિરવિજયસૂરિ દેખાતાં જ લોકો તેમની આગળ ચાલવા લાગ્યા. આચાર્ય હિરવિજયસૂરી સાથે વિવિધ ક્ષેત્રે નિષ્ણાત અંક સાધુઑ હતા પરંતુ બાદશાહ સાથે વાર્તાલાપ માટે તેમની સાથે ૧૩ સાધુઓ ગયા હતા જેમાં શ્રી વિમલહર્ષગણિ, શતાવધાની શાંતિચંદ્રગણિ, સહજસાગરગણિ, સિંહવિમલગણિ, હેમવિજયગણિ, લાભવિજયગણિ અને ઘનવિજયગણિ વગેરે સમાવિષ્ટ હતા. 

જૈન આચાર્યો તેમના જ્ઞાન, વિચાર અને આચરણમાં હમેશાં એકસમાન હોય છે. તેમના માટે તમામ માનવજાત, તમામ જીવો એકસમાન હોય છે. જૈન આચાર્ય કે જૈન સાધુ કદી પણ કોઈનું મન વચન અને કર્મથી બૂરું કરી તો ન જ શકે પણ તેવું વિચારી પણ ન શકે. આ કારણથી જ જૈન સાધુ સંતોનો શાસકો પર પ્રભાવ રહેતો. ભારત વર્ષમાં જેતે કાળે શાસકોને પ્રતિબોધવામાં મુખ્યત્વે જૈન આચાર્યોનો ફાળો અમુલ્ય રહ્યો છે. ઈતિહાસમાં ડોકિયું કરતાં જણાશે કે પ્રજા હિતાર્થે, લોકકલ્યાણાર્થે રાજાને રાજધર્મ પ્રબોધવામાં સાધુ મહાત્માઓનું અને તેમાંય જૈન આચાર્યોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે. આ માટે તેમની વિદ્વતા, નિહિરતા, કરુણા અને અનેકાંતની દ્રષ્ટિને જ યશ આપવો ઘટે. વનરાજને પ્રતિબોધવામાં શીલગુણસૂરિનો સિદ્ધરાજ અને કુમારપાળને પ્રબોધવામાં હેમચંદ્રાચાર્યનો અમૂલ્ય ફાળો છે, તેવીજ રીતે બાદશાહ અકબરને પ્રબોધવામાં આચાર્ય હીરવિજયસુરિનો ફાળો અકલ્પનીય છે. આચાર્ય હિરવિજયસૂરી વિ.સ. ૧૬૫૨માં ઉના મુકામે કાળધર્મ પામ્યા.

મોહમ્મદ તુઘલક, ફિરોજશાહ, અલાઉદ્દીન અને ઔરંગજેબ જેવા બાદશાહોને પૂજ્ય જિનસિંહસૂરિ, પૂજ્ય જિનદેવસુરિ અને પૂજ્ય રત્નશેખરસૂરિ જેવા વિરલ જૈન આચાર્યોએ ધર્મક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે ઉત્તમ સેવા કરી જૈન શાસનનો પરચમ લહેવરાવી મુસ્લિમ શાસનકાળમાં મુસ્લિમ બાદશાહોને સત્યનો માર્ગ બતાવી સત્ય અહિંસા અને સમતા પર ચાલવા હ્રદય પરીવર્તન કરાવવામાં સફળતા મેળવી હોય, ત્યારે પ્રજાતંત્રમાં પ્રજાના બળે શાસનમાં બેસેલા લોકપ્રતિનિધિઓને સત્ય, સમતા, ન્યાય, તેમજ વિવિધ સંપ્રદાયોના વ્યક્તિઓ વચ્ચે એકતા અને ધર્મનું આચરણ કરી આદર્શ સમાજ વ્યવસ્થા સુસ્થાપિત કરવાનો પ્રતિબોધ આપવો એ જૈન મહાત્માઓ માટે કપરું તો નથી જ. આજે આર્થિક ક્ષેત્રે અને ઔધોગિક ક્ષેત્રે દેશે વિકાસમાં જરૂર હરણફાળ ભરી હોય પરંતુ સામાજિક સૌહાર્દ અને સંવાદિતાના માર્ગમાં અનેક રોડાં રોજે રોજ ફેંકાતા રહે છે, જે જોઈને જોઈપણ અહિંસાપ્રેમી જૈન અને ખાસ કરીને જૈન મહાત્માઓનું હ્રદય જરૂર દ્રવી ઊઠતું હશે. આવા કપરા કાળમાં કોઈ પ્રબુદ્ધ જૈન આચાર્ય આગળ આવી અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતો દ્વારા શાસકોના પ્રતિબોધ બને તેવું  આજનો સમાજ, આજનો માનવી, આજની જનતા ઝંખે છે.